Wednesday, May 7, 2008

જૂઠ બોલે કૌઆ કાટે... ખરેખર?

મને જુઠ્ઠું બોલતા લોકો ગમતા નથી, એનો અર્થ એવો મુદ્દલ નથી કે હું કદી જુઠ્ઠું નથી બોલતો. જુઠ્ઠું બોલવાની બાબતમાં કોઈ પણ સામાન્ય માણસનું હોય છે એવું જ આપણું છે. પાછા ન પડીએ, પણ કોઈ બિનજરૂરી જુઠ્ઠું બોલે ત્યારે મજા ન આવે. આવા અનુભવો થતા રહેવા એ આજના જમાનામાં કોઈ નવી વાત ન કહેવાય અને કોઈએ તેનાથી વિચલિત પણ ન થવું જોઈએ એ પણ સાચી વાત છે, પણ છેલ્લા એક-બે દિવસમાં થયેલા અનુભવોએ વિચલિત નહિ, તો વિચારતો કરી દીધો છે.

શનિવારે બપોરે ફોન કર્યો તો ઓપરેટરે નામઠામ પૂછ્યા પછી ફરી લાઈન પર આવીને કહ્યું કે સાહેબ મીટિંગમાં છે. સાંજે ફોન કરજો. સાંજે ફોન કરવાને બદલે મંગળવારે બપોરે કર્યો તો ફરી થોડી વાર બાદ ઓપરેટરે કહ્યું, સાહેબ મીટિંગમાં છે અને થોડી વાર પછી બહારગામ જવાના છે.

ઓપરેટરના "સાહેબ" સાથે સારો સંબંધ છે. અને ફોન કોઈ ઉઘરાણી કરવા નહોતો કર્યો. તેમણે ધાર્યું હોત તો બે મિનિટ વાત કરી શક્યા હોત. તેમણે કેમ આવું કર્યું એ વિચારતાં મન ખાટું થઈ ગયું.

લોકો શા માટે જુઠ્ઠું બોલતા હશે એ પ્રશ્ન મારી જાતને પણ પૂછવો છે. જુઠ્ઠું બોલવા અંગે દુનિયાના ડાહ્યા લોકો શું કહે છે તે જોવા પ્રયાસ કર્યો તો જે મળ્યું તે આ રહ્યું :

* ખોટું બોલનારા લોકો હંમેશાં શપથ લેવા તૈયાર હોય છે. -- વિટ્ટોરિયો આલ્ફેરી

* સત્ય તો કોઈ મૂરખ પણ બોલી શકે, પણ જુઠ્ઠું સારી રીતે કેમ બોલવું એ માટે તો માણસમાં થોડી અક્કલ જોઈએ. -- સેમ્યુઅલ બટલર

* જુઠ્ઠાણું એ જીવનની શરત છે. -- ફ્રેડરિક નિત્શે

* જ્યોર્જ વોશિંગ્ટન કરતાં મારા સિદ્ધાંતોનું સ્તર ખૂબ ઊંચું છે. તેઓ જુઠ્ઠું બોલી શક્તા નથી, હું બોલી શકું છું, પણ બોલીશ નહિ. -- માર્ક ટ્વેઈન

* એક જૂઠ પૃથ્વીના છ આંટા મારી લે ત્યારે સત્ય હજી પાટલૂન ચઢાવતું હોય છે. -- માર્ક ટ્વેઈન

* કોઈ માણસમાં એટલી બધી યાદશક્તિ નથી હોતી કે તે સફળ જુઠ્ઠો બની શકે. -- અબ્રાહમ લિંકન

* જુઠ્ઠાણાં વિના માનવજાત હતાશા અને કંટાળાથી ખતમ થઈ જાય. -- અનાતોલે ફ્રાન્સ

* હેતુ સહિતનું જૂઠ સૌથી વધુ ખરાબ, પણ સૌથી વધુ ફાયદાકારક હોય છે. -- ફિન્લે પીટર

* જુઠ્ઠું બોલવું એ બાળક માટે કુટેવ, પ્રેમી માટે કળા, અપરણિત માટે આશીર્વાદ અને પરણેલા માટે સ્વાભાવિક હોય છે. -- હેલન રોલેન્ડ

* જો કોઈએ જુઠ્ઠા તરીકે ઓળખાવું હોય તો તેણે એ માટે પૂરતા પ્રયાસ કરવા જોઈએ. -- એ. એ. મિલ્ને

* બોલવું જ ન પડે તેમ હોય તો જુઠ્ઠું ન બોલશો. -- લિયો ઝિલાર્ડ

* જો તમારે જુઠ્ઠું બોલવું હોય તો તેનું રિહર્સલ કરી લેજો. જો એ તમને પોતાને જ ગળે ઊતરતું ન હોય તો તે બીજાને ગળે પણ નહિ ઊતરે. -- લેરોય "સેચલ" પેઈજ

* જૂઠનો પીછો ન કરશો. તેને એકલું રહેવા દો. તે જાતે જ મૃત્યુ પામશે. -- લિમેન બીચર

* એક કહેવત છે : "બાળકો અને મૂરખાઓ હંમેશાં સાચું બોલે છે." તેનો સાર એ જ કે "મોટેરાંઓ અને ડાહ્યાઓ કદી તે બોલતા નથી." -- માર્ક ટ્વેઈન

* લોકો શિકાર કર્યા પછી, યુદ્ધના સમય દરમ્યાન અને ચૂંટણી પહેલાં બોલતા હોય છે એટલું જુઠ્ઠું કદી નથી બોલતા. -- બિસ્માર્ક

2 comments:

Anonymous said...

જીવનમાં એક અસત્ય સીવાય ક્યારેય હું અસત્ય બોલ્યો નથી કે હું ક્યારેય અસત્ય બોલ્યો નથી

Kaps said...

ખરેખર જુઠ્ઠું બોલવુ એ લોકો માટે ethical-convenience ની વાત થઈ ગયી છે. અને એવા લોકો ને સામાન્ય જૂઠ બોલ્યા પછી કોઇ guilt પણ નથી લાગતુ - because they 'feel' that they have not harmed anybody.