Thursday, May 1, 2008

સવાલ સહિષ્ણુતાનો, સમજનો...

રિશી કપૂરના પુત્ર રણવીર કપૂરને લઈને પ્રકાશ ઝા એક ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું નામ છે "રાજનીતિ". તેમાં રણવીર કપૂર રાજીવ ગાંધીની ભૂમિકા ભજવવાનો છે. સામાજિક અને રાજ્કીય નિસબત ધરાવતાં કથાનકો સાથે ફિલ્મ બનાવવા માટે પ્રકાશ ઝા જાણીતા છે. "દામુલ"થી લઈને "અપહરણ" સુધીની ફિલ્મો તેમણે બનાવી છે. સવાલ એક જ છે, આ ફિલ્મને વિરોધનું કોઇ વિઘ્ન નડશે કે કેમ? ભૂતકાળના અનુભવો આવા જ છે. કોઇ વ્યક્તિને દેવતુલ્ય ગણીને કે કોઇ ધાર્મિક કે સામાજિક કે એવું કોઇ કારણ આગળ ધરીને ફિલ્મ બનવા જ ન દેવી કે બનેલી ફિલ્મને પ્રદર્શિત ન થવા દેવી એ હવે વારંવાર બનતી ઘટના છે. ત્યારે પ્રશ્ન એક જ થાય કે આપણે એટલા અસહિષ્ણુ થઈ ગયા છીએ કે એક ફિલ્મને ફિલ્મ તરીકે જોઈ શકતા નથી? આપણે એટલી સમજ પણ ગુમાવી બેઠા છીએ? "જોધા અકબર" હાલનું જ ઉદાહરણ છે.

ફિલ્મમાં રાજીવ ગાંધીના પાત્ર સંબંધે વાત કરીએ તો થોડા સમય પહેલાં ઇન્દિરા ગાંધીના જીવન પરથી ફિલ્મ બનવાની હતી. તેમાં ઇન્દિરા ગાંધીની ભૂમિકા મનીષા કોઇરાલા ભજવવાની હતી. ઇન્દિરાના મેકઅપમાં મનીષાની તસવીરો પણ અખબારોમાં પ્રગટ થવા માંડી હતી. પણ એ દિવસોમાં મનીષાએ બોલ્ડ કહી શકાય એવી ફિલ્મ "એક છોટી સી લવસ્ટોરી"માં કામ કર્યું હતું એ કારણસર ફિલ્મનો વિરોધ કરાયો. અંતે ફિલ્મ પડતી મૂકી દેવાઇ હતી.

આવાં બીજાં ઘણા ઉદાહરણો આપી શકાય તેમ છે. આ સંદર્ભે એટલું તો સ્વીકારવું પડે કે પશ્ચિમના પ્રેક્ષકો વધુ પરિપક્વ છે. ત્યાં પણ વિરોધ તો થતો જ હોય છે, પણ ફિલ્મનું પ્રદર્શન અટકાવાતું નથી. અમેરિકામાં આતંકવાદી ઘટના ૯/૧૧ બની તે પછી એક દસ્તાવેજી ફિલ્મ "ફેરનહિટ ૯/૧૧" બની હતી. તેમાં પ્રમુખ બુશ પર આકરા પ્રહારો કરાયા હતા, પણ આ ફિલ્મ છેક ઓસ્કર એવોર્ડ સુધી પહોંચી હતી. આ ફિલ્મ સૌથી વધુ કમાણી કરનારી દસ્તાવેજી ફિલ્મ પૂરવાર થઈ છે. એ પછી બીજી એક ફિલ્મ "ડેથ ઓફ એ પ્રેસિડેન્ટ"માં તો બુશની હત્યા સુધીની વાત દર્શાવાઇ હતી, પણ ન તો સરકારે કે ન તો કોઇ પક્ષે કે જૂથે તેને રીલીઝ થતી અટકાવવા પ્રયાસ કર્યો નહોતો.

આપણે ત્યાં થોડાં વર્ષો પહેલાં ગુલઝારની ફિલ્મ "આંધી" સામે એ કારણસર વાંધો ઉઠાવાયો હતો કે સુચિત્રા સેને તેમાં ભજવેલું મુખ્ય પાત્ર ઇન્દિરા ગાંધી પરથી પ્રેરિત હોવાનું ચર્ચાસ્પદ બન્યું હતું. એક સમયે તો તેના પર પ્રતિબંધની નોબત આવી ગઈ હતી. "ન્યુ દિલ્લી ટાઇમ્સ" નામની એક ફિલ્મને સરકાર એ કારણસર દૂરદર્શન પરથી પ્રસારિત નહોતી થવા દેતી કે તેના એક દૃશ્યમાં કોમી તોફાનો કરાવતા લોકો પૈકી કેટલાકે ગાંધી ટોપી પહેરી હતી.

પ્રકાશ ઝાની "રાજનીતિ"ને કોઇ અવરોધ ન નડે એવી આશા રાખીએ.

1 comment:

Anonymous said...

બની બેઠેલા સંસ્કૃતીના રખેવાળો જનતાને સળગતા પ્રશ્નોથી દુર રાખી તમાશો કરવામાં કેવા પાવરધા હોય છે તે આપણે ઘણી વાર જોયું છે